HEALTH

શરીર -મન -મસ્તીક -Click 👈

આપડા શરીર -મન -મસ્તીક  માં થતી સમસ્યાઓ અને
 એના ઉકેલ જાણવા માટે અહીં આપેલ લિંક પર ક્લીક કરો 



 દુ:ખની વાત એ હોય છે કે વ્યક્તિ પોતે સભાન હોય છે કે પોતાની ટેવ ખરાબ છે, પરંતુ જાતે રોકી શકાતી નથી


લેખનું જે શિર્ષક છે તે તો ફક્ત એક ઉદાહરણ આપ્યું છે. આ સિવાય કેટલીક વ્યક્તિઓને તો એવી ટેવ પડી જતી હોય છે દા.ત. વારંવાર એકની એક ક્રિયા કરવી, જેમકે ઘરમાં બેઠા બેઠા વસ્તુઓ આઘાપાછી કર્યા કરવી, સતત શરીર ચોખ્ખું રાખ્યા કરવું, અરીસામાં મોઢું જોયા કરવું.

મોબાઈલમાં અવાર નવાર ચેક કરતા રહેવું, બહાર હોઈએ તો કોઈ ચેપ નહીં લાગે ને તેના વિચાર કર્યા કરવા, કોઈને અડી ના જવાય તેનું સતત ધ્યાન રાખીએ, બહારથી ઘરે આવીએ તો સૌથી પહેલાં સ્નાન કરીએ, હાથ ચોખ્ખા રાખવા સાબુથી ધોયા કરીએ, બધું જ કામ મિનિટની ગણતરીથી જ થવું જોઈએ તેવો સતત આગ્રહ રાખવો, વગેરે.

ઉપરના ઉદાહરણો તો ફક્ત પર્વતની ટોચ જેવા છે, આવી તો અસંખ્ય ક્રિયાઓ વારંવાર કરવી પડતી હોય છે. અલબત્ત વ્યક્તિઓ બદલાઈ જાય. નવાઈની વાત એ છે કે ક્રિયા તો કરવી પડતી જ હોય છે, પરંતુ તેમાં ફરજીયાતપણું પણ જોડાઈ જાય છે. દા.ત. જો વારંવાર ચેકીંગ ના થયું હોય તો મન તરત જ ડીસ્ટર્બ થઈ જાય છે - અને જ્યાં સુધી તે ક્રિયા ના કરીએ ત્યાં સુધી મનમાં ચેન પડતું નથી. ક્યારેક તો આ ક્રિયામાં કલાકો વેડફાઈ જાય છે - તેનું પણ ભાન રહેતું નથી. એક કેસની ચર્ચા કરીએ.

''૨૮ વર્ષનો કલ્હાર છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પ્રકારની વિચિત્ર ટેવથી પીડાય છે. કલ્હારને એવી ટેવ હોય છે કે મારે મારી ભુતકાળની વાત ઘરમાં કહેવી છે, આ તો સામાન્ય વિચાર થયો. પરંતુ કલ્હાર એક વખત આ વાત જણાવી દે પછી તરત જ પાંચ દશ મિનીટમાં એવું થાય કે મેં વાત કરી નથી, પાછી પોતાની વાત ઘરનાંને ક હી દે. આવું સતત ચાલ્યા જ કરે. કલાક બે કલાક પછી ઘરની વ્યક્તિ પણ થાકી જાય.

પરંતુ કલ્હારને ખબર પડતી હતી કે મેં વાત કરી દીધી - પરંતુ સંતોષ થતો ન તો. તેની તેજ વાત વારંવાર જણાવ્યા જ કરતો હતો. થોડાક સમય પછી કલ્હારને લાગ્યું કે પોતાને કોઈ માનસિક તકલીફ લાગે છે. નેટ ઉપર સર્ચ કરીને જોયું તો ખરેખર આ પ્રકારની ટેવ એક મનોબિમારીનું લક્ષણ જ છે. તેથી તે ક્લીનીકમાં આવીને પોતાની આપવિતી કહી રહ્યો હતો.''

હકિકતમાં આ પ્રકારની ટેવ એક મનોરોગની નિશાની છે. જે રોગને ઓ.સી.ડી. (ઓબસેસીવ કમ્પલઝીવ ડીસઓર્ડર) તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરના આંકડાઓ અને સર્વેક્ષણ અનુસાર આ બિમારીનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. આ પ્રકારના લક્ષણોને સામાન્ય ગણવા ના જોઈએ. કારણકે જો આ ફરિયાદનો સમય વધતો જાય તો ધીમેધીમે વ્યક્તિની રોજીંદી પ્રવૃત્તિમાં પણ ખલેલ પહોંચે છે. વ્યક્તિ તે ટેવની પાછળ જ કલાકો વેડફી નાંખે છે. દુ:ખની વાત એ હોય છે કે વ્યક્તિ પોતે સભાન હોય છે કે પોતાની ટેવ ખરાબ છે, પરંતુ જાતે રોકી શકાતી નથી.

ઓ.સી.ડી.ની બિમારી માનસિક રોગ જ છે. મગજના રસાયણોને કારણે જ આ કુટેવ ઉદ્ભવે છે. કોઈ જાણી જોઈને આવું કરતું નથી. બિમારીની ચોક્કસ સારવાર પણ ઉપલબ્ધ છે. મનોચિકિત્સકની સલાહ સાથે સારવાર કરવી જરૂરી છે.


માનસિક બીમારીને રોકવા શું કરવું જોઇએ ?

યોગના કારણે ઉદાસીનતા ઊભી કરતાં મગજના કેટલાંક રસાયણોનું પ્રમાણ જળવાઇ રહે છે. અને જો ઓછું થયું હોય તો તેને પણ બેલેન્સ કરે છે

દરેકને એવો વિચાર આવે છે કે બીમારી થાય જ નહિં. આપણે સૌ પ્રયત્નો કરીએ છીએ કે રોગને થતો જ અટકાવવો. નવા નવા સંશોધનોના પરિણામે બીમારી થવાના મુળ કારણોને દૂર કરવા ખોરાક, પાણી વગેરેમાં કેટલાય પગલાં લેવામાં આવે છે. શારીરિક બીમારીને રોકવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ છીએ. પરંતુ માનસિક બીમારીનું શું ? માનસિક બીમારી રોકવા માટે શું પ્રયત્ન કરવાં જોઇએ ?

આજકાલ સતત તણાવભરી જીંદગી આપણે જીવી રહ્યા છીએ. ઊઠતાંની સાથે જ મગજમાં અનેક વિચારો આવી જાય છે. દિવસ દરમ્યાન કરવાનાં કામથી માંડીને અનેક ચિંતા અને ટેન્શન મગજમાં રહેતા હોય છે. ઘણીવાર આ પરિસ્થિતિમાં મનને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૃરી હોય છે. નહીંતર અકારણ ચિડિયાપણું, ગુસ્સો, મારામારી  તેમજ ન કરવાના કાર્યો થઇ જતાં હોય છે.

શારીરિક બીમારી તો ખબર હોય છે કે કોઇપણ ચેપને કારણે થતી હોય છે. દા.ત. બેક્ટેરીયા, વાયરસ, ફંગસ, અન્ય ઈજા વિ.વિ. પરંતુ માનસિક બીમારી કોઇ ચેપી રોગ નથી. પરિણામે ગમે તે પ્રકારે મનને સ્વસ્થ રાખવું જરૃરી બને છે. જો મન સ્વસ્થ હશે તો માનસિક બીમારી થવાના ચાન્સ ઓછા થઇ જાય છે. માનસિક બીમારીને રોકવા અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા કયા પ્રયત્નો કરવા જોઇએ ?

સૌ પ્રથમ ગમે તે પરિસ્થિતિમાં મનને એડજેસ્ટ કરવું જોઇએ. આપણને ખબર છે હોય છે કે ક્યારેક ઘરનું વાતાવરણ જ ખરાબ હોય તો મન સ્વસ્થ કઇ રીતે રહે ? પરંતુ ''ગમશે, ચાલશે અને ફાવશે'' જ આ ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખશે તો મોટાભાગે મન સ્વસ્થ રહેશે. આપણો જ એક્કો સાચો આવા વિચાર મનમાંથી દૂર કરવા. કોઇપણ વાતમાં થોડી બાંધછોડ કરવી જરૃરી છે. તેના માટે  સહનશક્તિ વધારવી પડે છે.

મનને વારંવાર ભુતકાળમાં લઇ જવું નહીં. ગયેલી વાત વારંવાર યાદ કરવાથી મન ડીસ્ટર્બ થાય છે. ભૂલી જાવ અને માફ કરો-નો અમલ કરવો જોઇએ. વર્તમાનમાં  જ જીવતાં શીખવું - જેથી ભવિષ્યની અકારણ ચિંતા થશે નહિ.

ગુસ્સાને કોઇપણ પ્રકારે કાબુમાં રાખવો જોઇએ. ગુસ્સો કરવો જ પડે તો તે જગ્યાએથી તરત જ ખસી જવું જોઇએ.  ગુસ્સો મોટેભાગે ક્ષણિક હોય છે. માનસિક બીમારીથી બચવા માટે એક માર્ગ છે - યોગ. આજકાલ યોગ વિષે ઘણું બધું વાંચવામાં આવે છે. જોવામાં આવે છે.

વૈજ્ઞાાનિક તારણોના પરિણામો જણાવે છે કે જો વ્યક્તિ નિયમિત યોગ કરે તો માનસિક સ્વાસ્થ સંપૂર્ણપણે જળવાઇ રહે છે. યોગના કારણે ઉદાસીનતા ઊભી કરતાં મગજના કેટલાંક રસાયણોનું પ્રમાણ જળવાઇ રહે છે. અને જો ઓછું થયું હોય તો તેને પણ બેલેન્સ કરે છે. આમ યોગ માનસિક બીમારી રોકવામાં ખૂબ જ ઉપયોગી છે.  નાનપણથી   બાળકને યોગની  તાલીમ આપવી જોઇએ. આ ઉપરાંત વિવિધ માનસિક કસરતો, સંગીત, કળા, કોઇપણ ગમતી પ્રવૃત્તિમાં રસ ઊભો કરવો. શારીરિક કસરત, વગેરે માનસિક બીમારી રોકવામાં ઉપયોગી
થાય છે.

- હિતેન્દ્ર ગાંધી


મોબાઇલ છોડવાની જરૃર નથી તેનું વ્યસન છોડવું જોઈએ

અન્ય વ્યસન સાથે સોશીયલ મીડીયાનું વ્યસન એક માનસિક બીમારી છે. જો આ પ્રકારે જોવા જોઈએ તો આ વ્યસનના શિકાર મોટાભાગે યુવાનો થઈ રહ્યા છે

'હું જ્યારે જોઉં ત્યારે તારો ફોન ચાલુ જ હોય છે. તારે ભણવાનું છે કે નહિ ? દિવસના મોટાભાગનો સમય તારો મોબાઇલ ચાલુ જ હોય છે ?'

'બહાર જવાનું મોડું થાય છે. ક્યારનીય બુમો પાડુ છું. ૯ વાગે પહોંચવાનું છે અને ૮.૩૦ થયા. હજી સુધી તમે તૈયાર થયા નથી. જ્યારે જોઇએ ત્યારે ફોનની અંદર આંગળીઓ ચાલુ જ હોય છે.'

'મેં તો કહ્યું જ હતું કે મોબાઇલ લેવાનો જ નથી. પણ કોઇએ માન્યું નહિં. અને હવે જોયું રીઝલ્ટ... માંગો હવે ભીખ. કોણ એડમીશન આપવાનું છે ?'

'આ મોબાઇલના કારણે કોઈ જ કામ થતાં નથી. નક્કી કર્યું હતું કે બે કલાક મોબાઇલ બંધ જ રાખવો પણ વારેવારે જોઈ લેવાની ઇચ્છા થઈ જ જાય છે.'

આજકાલ ઉપરોક્ત સંવાદો ખૂબ જ સામાન્ય છે. ઘરે ઘરે મોબાઇલ રામાયણ શરૃ થઈ ગઇ છે.

ઘરડાઓ એમ કહેતાં હોય છે કે અગાઉ મોબાઇલ હતા જ નહિ તો કામ નહોતું થતું ? ઉલટાના સાધન આવ્યા પછી કામ થવાના બંધ થઈ ગયા છે.

જુવાનીયાઓ એવું કહે છે કે નવી ટેકનોલોજીની કોઇને પડી જ નથી. સાધન આવવાથી કામ કેટલા સહેલાં અને ઝડપથી થઈ જાય છે.

વિજ્ઞાનની શોધ અવિરત ચાલ્યા જ કરે છે. નવી નવી ટેકનોલોજીથી દુનિયાને મોટી રાહત થઈ છે.

મોબાઇલની શોધ પણ આવકારદાયક જ છે - પરંતુ દરેક વસ્તુની બે બાજુ હોય છે - તેમ મોબાઇલનો સારો ઉપયોગ ઉપરાંત દુરૃપયોગ પણ થાય છે.

છેલ્લા અમુક વર્ષોથી મનોચિકિત્સા ક્ષેત્રમાં પણ મોબાઇલમાં સોશીયલ મીડીયાનો ઉપયોગ ખુબ ઝડપથી વધી રહ્યો છે.પરંતુ ધીમે ધીમે તેની પાછળ જે સમય આપવામાં આવવો જોઈએ તેના કરતાં અનેક ગણો સમય ક્યારેક અમુક વ્યક્તિઓ વેડફતા હોય છે - પરિણામે વ્યક્તિના રોજીંદા કાર્યમાં ખલેલ પહોંચે છે.

બીજી ભાષામાં કહીએ તો સોશીયલ મીડીયાનું વ્યસન થઈ જાય છે.

તાજેતરના આધારભૂત મનોચિકિત્સાના સમાચાર મુજબ સોશીયલ મીડીયાનું વ્યસન હવે માનસિક બીમારીમાં ઉમેરવામાં આવ્યું છે.

એટલે કે અન્ય વ્યસન સાથે સોશીયલ મીડીયાનું વ્યસન એક માનસિક બીમારી છે.

જો આ પ્રકારે જોવા જોઈએ તો આ વ્યસનના શિકાર મોટાભાગે યુવાનો થઈ રહ્યા છે. સોશીયલ મીડીયાનું વ્યસન ક્યારે થયું કહેવાય તે જોઈએ.

દિવસનો મોટાભાગનો સમય ફોનની અંદર જ પસાર કરવામાં આવતો હોય, ક્યારેક દિવસ દરમ્યાન કરવાના કામ આના પરિણામે રહી જતાં હોય અથવા ભૂલી જવાતા હોય.

વ્યસનના પરિણામે સ્કુલ, કોલેજ, નોકરીના સ્થળે, ઘર અથવા ધંધાના સ્થળેથી અવાર નવાર ઠપકો મળતો હોય - કાર્યસ્તર નીચે ઉતરતું જતું હોય, પરિણામ ખરાબ આવતું હોય.

ક્યારેક ખાવાપીવાનું ભાન રહેતું ના હોય, ઉંઘ ઓછી થઇ જતી હોય. ક્યારેક આ વ્યસનમાંથી છુટવાનો પ્રયત્ન કર્યો હોય પણ નિષ્ફળ રહ્યો હોય, થોડાક સમય પણ તેનાથી દુર રહેવાતું ના હોય. વગેરે લક્ષણો દ્વારા કહી શકાય કે સોશીયલ મીડીયાનું વ્યસન છે.

જો આ પ્રકારનું વ્યસન લાંબો સમય ચાલે સ્વાભાવિક રીતે વ્યક્તિને શારીરિક અને માનસિક તકલીફો ઊભી થાય. ધીરે ધીરે બેચેની, ઉદાસીનતા વગેરે રોગ પણ થઇ શકે છે.

આ ઉપરાંત સામાજીક સમસ્યાઓ, લગ્નજીવનની સમસ્યાઓ, નોકરી-ધંધા- અભ્યાસ વિ.ની સમસ્યાઓ ઉભી થાય છે.

સોશીયલ મીડીયાના વ્યસનમાંથી છુટકારો મળી શકે તેમ હોય છે.

આ સમસ્યામાંથી બહાર આવવા માટે તેની માનસિક સારવાર લેવી જરૃરી થઇ જાય છે.

નિષ્ણાત દ્વારા આપવામાં આવતા સલાહ-સૂચનોનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તો ચોક્કસ આ વ્યસન છુટી શકે છે.

મોબાઇલ છોડવાની જરૃર નથી - તેનું વ્યસન છોડવાની જરૃર છે.


સિઝોફ્રેનિયા કઈ બીમારીનું નામ છે?

સિઝોફ્રેનીયાની બીમારી તાજેતરમાં ખુબ જ સામાન્ય બની રહી છે. તેની જાણકારી લેવી જરૃરી છે

માનસીક બીમારીઓમાં સીઝોફ્રેનિયાની બીમારી થોડી ગંભીર ગણી શકાય અને શરુઆતથી જ તેને કાબુમાં લેવી જોઈએ. સામાન્ય રીતે નાની ઉંમરથી જ તેનાં લક્ષણો જોવા મળે છે. અને ધીમે ધીમે બીમારી વધતી જાય છે. હકિકતમાં આ બીમારીમાં દર્દીના વિચારો આડાઅવળા થઈ જાય છે અને વિચારોની તકલીફને કારણે સ્વાભાવિક રીતે, બોલવું-ચાલવું અને વર્તનમાં પણ વિચિત્રતા જોવા મળે છે. એક કેસનો દાખલો આપું તો થોડી જાણકારી મેળવવામાં સહેલું પડશે.

''૧૪ વર્ષનો જોલી શરૃઆતથી જ થોડો શરમાળ હતો. ઘરમાં મમ્મી-પપ્પા અને જોલી સિવાય કોઈ હતું નહિં. આખો દિવસ જોલી સ્કુલમાં, ટયુશનમાં વ્યસ્ત રહેતો હતો. ભણવામાં હોંશિયાર હતો પરંતુ આ સિવાય તેના બીજા કોઈ શોખ નહોતાં. ફક્ત ભણવામાં જ તેનું ધ્યાન કેન્દ્રીત રહેતું હતું. ક્યારેક નવરાશના સમયે ટી.વી. તેમજ ગેમમાં ટાઈમ પાસ કરતો હતો. ઘણી વકત તેની મમ્મીના કહેવા મુજબ ટી.વી. જોતાં જોતાં વિચારમગ્ન થઈ જતો હતો. ક્યાંક ઉંડા વિચારોમાં ખોવાઈ જતો.

એકાદ બે વાર તો સોફા ઉપરથી ઉભો થઈ જાય અને એક કોર્નરમાં જઈને વિચારમગ્ન થઈ જતો. જોલીને કાંઈ ખબર રહેતી નહોતી. તેની મમ્મી બુમ પાડે ત્યારે તરત જ મુળ જગ્યાએ આવી જતો હતો. થોડાક સમય પછી ક્યારેય ગુસ્સે નહિં થતો જોલી નાની નાની વાતમાં ગુસ્સો કરતો હતો. વાતમાં કોઈ દમ ના હોય તો પણ અકારણ ચીડાઈ જતો હતો. જોલીના મમ્મી-પપ્પાને એવું હતું કે ભણવાના ટેન્શનના કારણે તેનું વર્તન થોડું બદલાયેલું લાગે છે. થોડાક દિવસ ચેન્જ માટે ફરવા જઈ આવ્યા.

સીમલા ગયા. ચાર દિવસનું રોકાણ હતું. હોટલમાં રોકાયા હતાં. બીજા દિવસે જોલીએ તેના પપ્પાને કહ્યું કે હોટલના એક વેઇટર ઉપર તેને શંકા છે. તે વેઈટર જોલીનો પીછો કરતો હોય તેવું તેને લાગે છે. શરૃઆતમાં વાત હસી કાઢી. સાંજે જોલીએ કહ્યું કે તે વેઇટર તેને ધમકાવવાનો પ્રયત્ન કરે છે. વાત થોડી લાંબી ચાલી. રીસેપ્શનમાં ફરિયાદ થઈ. બધાને એવું લાગ્યું કે વાત ખોટી છે. વેઇટર ખુબ જ સારો છે.

વર્ષોથી કોઈને ફરિયાદ નથી. પરંતુ જોલી અને તેના મમ્મી-પપ્પાને સંતોષ ના થયો. વેકેશન પતાવીને ઘરે આવ્યા. દસ પંદર દિવસ પછી જોલીમાં ખાસા ફેરફાર જોવા મળ્યા. ક્યારેક બે ચાર દિવસ સુધી નહાતો નહોતો. એકાદ વખત તેના પપ્પાએ જોયું તો જોલી કોઈ કારણ વગર ખડખડાટ હસતો હતો. એક દિવસ જોલીએ એવું પણ કહ્યું કે બાજુના બંગલાવાળાનો સીક્યુરીટી માણસ તેનો પીછો કરે છે, વૉચ રાખે છે. જોલીના ઘરમાં હવે લાગ્યું કે જોલીને ખરેખર કોઈ તકલીફ છે. છેલ્લા રીઝલ્ટમાં પણ ધબડકો હતો.

જોલીના પપ્પાએ તેમના ફેમિલી ડોક્ટર સાથે ચર્ચા કરી. ફેમીલી ડોક્ટરે જોલી સાથે પણ વાતચીત કરી. ડોક્ટરને લાગ્યું કે જોલીમાં ખરેખર કોઈ માનસીક તકલીફ છે. કારણ કે ઘણા સમય પહેલાંથી (છ મહિનાથી) જોલીના વર્તનથી માંડીને વિચારોમાં તકલીફ દેખાતી નથી. સીમલાનો અનુભવ અને ત્યારબાદ બાજુવાળા સીક્યોરિટી માણસ ઉપરનો વહેમ વિ.વિ. સામાન્ય વ્યવહાર ના લાગ્યો.

જોલીને માનસચિકિત્સક પાસે લાવવામાં આવ્યો. વિગતવાર તપાસને અંતે જોલી સિઝોફ્રેનિયાની માનસિક બીમારીથી પીડાય છે એવું નિદાન થયું. સારવાર કરવામાં આવી. થોડાક દિવસમાં જ જોલી ઝડપથી સારો થવા લાગ્યો.

ટુંકમાં સિઝોફ્રેનીયાની બીમારી તાજેતરમાં ખુબ જ સામાન્ય બની રહી છે. તેની જાણકારી લેવી જરૃરી છે. તેનો ઈલાજ પણ શક્ય છે. જો વર્ષો સુધી તેની સારવાર ના થાય તો ગંભીર થઈ શકે છે અને ક્યારેક દર્દી હિંસક પણ બને છે અથવા આત્મહત્યા પણ કરી શકે છે.

FROM GUJRATSAMACHARNEWS PAPER

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box Thank you

Note: Only a member of this blog may post a comment.

Old Age

  ECHO foundation team met an old age home located in Virar, Mumbai and they wanted intimacy, not a temple. .. Love. .I want my identity. So...